Essay on Poverty in Gujarati Language : In this article " ગરીબી એક સામાજિક રોગ ગુજરાતી નિબંધ ", " ગરીબી વિશે નિબંધ ગુજરાતી ...
Essay on Poverty in Gujarati Language: In this article "ગરીબી એક સામાજિક રોગ ગુજરાતી નિબંધ", "ગરીબી વિશે નિબંધ ગુજરાતી", "Garibi Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Poverty a curse", "ગરીબી એક સામાજિક રોગ ગુજરાતી નિબંધ" for Students
સમાજની જાહેર સુખાકારી અને વિકાસમાં અવરોધક બનતા તત્ત્વને આપણે રોગ કહીએ તો ખોટું નથી. જ્ઞાતિભેદ, નિરક્ષરતા, અસ્પૃશ્યતા જેવાં સામાજિક અનિષ્ટોમાં સૌથી વિશેષ વિનાશકારી હોય તો એ ગરીબી છે. કોઈ પણ દેશના સામાજિક વિકાસને રૂંધતો મહારોગ હોય તો એ ગરીબી છે. આર્થિક રીતે પછાત એવા સમાજના સાવ નીચા સ્તરમાં જન્મવું કે જીવવું એ અપરાધ નથી; પરંતુ આ સ્તરની ગરીબી અન્ય અનિષ્ટો કે રોગોનું પ્રેરક બળ બની જાય છે. એટલે જ સમાજશાસ્ત્રીઓ દેશની ગરીબીને એક સામાજિક રોગ તરીકે ઓળખાવે છે.
ગરીબ પરિવારમાં કુટુંબનું ભરણપોષણ સારી રીતે થતું ન હોવાથી આવા લોકો શરીરથી નબળા હોય છે. તેઓ વારંવાર રોગના ભોગ બને છે, પૂરતી દવા કે સારવાર લઈ શકતા નથી તેથી એમનાં શરીર રોગોનું ઘર બનતાં જાય છે. નિર્બળ શરીરને લીધે તેમનામાં સાહસવૃત્તિ રહેતી નથી. એટલું જ નહીં, કેટલાક પરિવારમાં સંતાનોને ગરીબીની સાથે વડીલો તરફથી વારસામાં કેટલાક જીવલેણ રોગ પણ મળતા હોય છે. આમ અપૂરતા પોષણથી જીવન ટકાવવું દુષ્કર બને છે તે ગરીબીનું પહેલું પરિણામ છે.
નબળું શરીર નબળા મનનું ઘર બને છે. ગરીબ લોકોમાં જ્ઞાન, આત્મવિશ્વાસ, સાહસ કે ધગશ જેવા ગુણોનો અભાવ હોય છે. સતત દલિત અને દમિત મનોદશામાં જીવતી હોવાથી આ પ્રજા ચેતનહીન બની ગઈ હોય એમ લાગે છે. ગરીબ વર્ગમાંથી ભાગ્યે કોઈ જ્ઞાની, પંડિત કે પ્રતિભાશાળી વ્યક્તિ સમાજમાં આગળ આવી હોય છે, અપવાદરૂપ દાખલા પણ જૂજ હોય છે, પરિણામે ગરીબ પ્રજા માનસિક રીતે પછાત રહે છે.
સતત દેવું કરીને સામાજિક પરંપરા નિભાવવાથી ગરીબ પ્રજા હંમેશાં દેવાદાર જીવન વિતાવે છે. પૈસા ન હોવાથી જીવનજરૂરિયાતની અછત સહી લે છે. વ્યક્તિ અથવા કુટુંબના સામાજિક-આર્થિક વિકાસની તક હોતી નથી. પછાત વર્ગ તરીકે જીવવા ટેવાયેલા આ લોકોને સમાજના મધ્યમ કે ધનિક વર્ગ તરફથી થતાં અપમાનો પણ સહન કરવો પડે છે. “ગરીબની વહુ સહુની ભાભી' એ કહેવત આ વાત સૂચવે છે. સંસ્કૃતના એક શ્લોકમાં “યસ્થતિ વિત્ત સ નર: નિ:...' પંક્તિ વડે ધનવાન વ્યક્તિનાં લક્ષણો ગણાવ્યાં છે. એથી ઊલટા ધનહીન માણસનાં લક્ષણોની કલ્પના આપણે આ શ્લોકના આધારે જ કરી શકીએ. ગરીબોને સમાજમાં સૌ હડધૂત કરે છે, ઉપેક્ષા કરે છે અને સતત ધિક્કાર વરસાવે છે. તેમના અસ્તિત્વની કદર જ હોતી નથી.
ગરીબ હોવું એ ગુનો નથી, પરંતુ ગરીબી એ ગુનાખોરીની જનેતા છે એ વાત ઘણી સાચી છે. “વુમૂક્ષિતો વુિં ન કરોતિ પાપમ્ ' ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો ? એ ઉક્તિમાં સત્ય રહેલું છે. ગરીબીમાં સતત પીડાતો માણસ રાતોરાત પૈસાદાર થવાનાં સ્વપ્નાં સિદ્ધ કરવા અનૈતિક રસ્તાઓ અપનાવે છે. જુગાર, ચોરી, લૂંટ, દાણચોરી કે ખૂન દ્વારા પણ પૈસા મેળવવામાં તેને કશું ખોટું લાગતું નથી. નાનપણથી બાળકોમાં આવા સંસ્કાર પડતા હોય છે. પરિણામે આવાં અનિષ્ટ પરંપરામાં ઊતરી આવે છે. આમ ગરીબ લોકો સામાજિક અનિષ્ટ અને ગુનાખોરીમાં મનેકમને ઢસડાય છે. આવી રીતે એક વાર ગુનાખોરીમાં સપડાયા પછી તેમાંથી છૂટવું મુશ્કેલ બને છે. પરિણામે ગરીબી ગુનાખોરીને જન્મ આપે છે અને પોષતી પણ રહે છે. આ અર્થમાં કોઈ પણ દેશની પ્રજા માટે ગરીબી એક મહાન અનિષ્ટ અને વ્યાપક સામાજિક રોગ છે.
COMMENTS